આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ – એમ.જી.વી.સી.એલ દ્વારા આયોજીત લોકદરબારમાં ૧૯ પૈકી ૮ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો.


lokdarbar01.jpg

ઉમરેઠ નગરના ટાઉનહોલ ખાતે એમ.જી.વી.સી.એલ દ્વારા આજે સવારે ૧૦ કલાકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમરેઠ શહેર એન્જી.આનંદભાઈ તેમજ ગ્રામ્ય વિભાગના એન્જી.શર્માભાઈ સહીત એમ.જી.વી.સી.એલના અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા અને ઉપસ્થીત અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સકારાત્મક અભિગમ દાખવ્યો હતો. ઉમરેઠ શહેર એન્જી. આનંદભાઈએ જણાવ્યું હતુ કે, લોકદરબારમાં વિવિધ ૧૯ અરજી પ્રાપ્ત થઈ હતી જે પૈકી ૮ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો અન્ય અરજીઓ નિતિ વિષયક હોવા થી તે અરજીઓ લાગતા વળગતા અધિકારીશ્રીને ઉચ્ચ કક્ષાએ મોકલી તેનો પણ સકારાત્મક નિકાલ આવે તે માટે બનતા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. ગુજરાત કિશાન સંગના પ્રમુખ રવી પટેલની વીજ બીલ માટે એન્ડ્રોઈડ એપ્લીકેશન તેમજ વીજ બીલ કલેક્શન માટે મોબાઈલ વાનની માંગના અનુસંધાનમાં તેઓએ જણાવ્યું હતુ કે, સદર બંન્ને માંગ તાલુકા કક્ષાએ પૂર્ણ થઈ શકે તેમ નથી જેથી ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી શક્ય હોય તેટલી જલ્દી ઉમરેઠ તાલુકામાં બંન્ને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી. આ ઉપરાંત રવી પટેલે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, વીજ બીલ અડધુ કોમ્યુટરાઈઝ તેમજ અડધુ મેન્યુઅલ આવે છે આવા સમયે ભુલો થવાની શક્યતા રહે છે જેથી પુરે પુરુ બીલ કોમ્યુટરાઈઝ આપવામાં આવે તેમ માંગણી કરી હતી જેનો પ્રત્યુત્તર આપતા આનંદભાઈએ જણાવ્યું હતુ કે સંપૂર્ણ બીલ કોમ્યુટરાઈઝ મળે તે માટે એમ.જી.વી.સી.એલ દ્વારા કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે સદર કાર્ય સોફ્ટવેર તેમજ ટેક્નિકલ મુદ્દા ને કારણે પાઈપ લાઈનમાં છે જે સત્વરે શરૂ કરવા માટે તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ખાતરી આપી હતી. રવીભાઈ પટેલે ખેડુતોને વીજ ચોરીની કલમ હેઠળ દબાવવામાં આવે છે તેવો આક્ષેપ કરતા સદર કલમ દૂર કરવા માગણી કરી હતી જેના પ્રત્યુત્તરમાં અધિકારીએ જણાવ્યું હતુ કે સદર કાયદાકીય અને નિતિવિષયક મુદ્દો છે જેથી તે યોગ્ય સ્તર પર રજૂઆત કરવા સુચણ કર્યુ હતું. આ ઉપરાંત ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામના અરજદારોએ ખુલ્લી ડીપી, થાંભલા ખસેડવા જેવા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી જેનું સુખદ સમાધાન કરી તેઓની સમસ્યા દુર કરવા સ્થળ પર અધિકારીઓએ સબંધીત કર્મચારીઓને જણાવ્યું હતું.

લોક દરબાર અંગે ગ્રામ્યજનો અજાણ…!

એમ.જી.વી.સી.એલ દ્વારા આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ જે મુદ્દે ઉમરેઠના નગરજનો અજાણ રહ્યા હતા સમગ્ર ઉમરેઠ શહેર અને ગ્રામ્ય થઈને કુલ ૧૯ અરજીઓ જ આવી હતી જે પૈકી મોટાભાગ ની અરજી ગુજરાત કિશાન સંઘ દ્વારા કરવામાં આવી હતી લોક દરબારમાં “હું બાવો ને મંગળદાસ જેવો ઘાટ ઘડાયો હતો” ભવિષ્યમાં આવા કાર્યક્રમ અંગે એમ.જી.વી.સી.એલ દ્વારા વ્યવસ્થીત જાહેરાત કરવામાં આવે તેવી ઉમરેઠના નગરજનોએ માંગ કરી છે. 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.